29/06/2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામા આવી.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી શુભારંભ અવસરે ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને શાળા પ્રવેશ કરાવી શાળા પ્રવેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રી જયકુમાર રાવલ , શિક્ષણ સમિતિના સદસ્ય અને શાળાના પ્રભારી શ્રી સંજયભાઈ બારૈયા, કોર્પોરેટર શ્રી ભરતભાઈ ચુડાસમા ,સી.આર.સી શ્રી નિકુંજભાઈ પંડ્યા, ચેતનાબેન જાની, શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ એસ.એમ.સી ના અધ્યક્ષ શબાનાબેન બેલીમ તેમજ આંગણવાડીના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામા આવી.શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાળાની બાલિકાઓએ પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.ત્યારબાદ સૌ પ્રથમ આંગણવાડીના બાળકોને રમકડા કીટ ,ચિત્રકલા સેટ મહેમાનશ્રીઓ હસ્તે આપી પ્રવેશ કરાવવામાં આવ્યો.ત્યારબાદ બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવવામા આવ્યો.શાળાના ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. શાળામાંથી ખેલ મહાકુંભ ,કલા મહાકુંભ ,ગીતાશ્લોક ગાન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ ઝોન કક્ષાએ તેમજ શહેર કક્ષાએ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના,NMMS ,PSE ની પરીક્ષાઓ પાસ કરીને મેરીટમાં આવનાર તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર કૌશલ્યવાન બાળકોને સન્માનિત કર્યા. શાળામાં બાળકોને મધ્યાહન ભોજન જમવા માટે ત્રણ ખાનાની બસો ડીશ વિપુલભાઈ સુરતી (સેવક ગ્રુપ - કણબીવાડ) તરફથી આપવામાં આવી હતી તેમને અને શાળાના SMC ના અધ્યક્ષ શબાનાબેને પંખા માટે રોકડ રકમ આપી તેવા દાતાશ્રીઓની ભાવનાને બિરદાવી સન્માનિત કર્યા હતા.આ વર્ષના પ્રવેશોત્સવની થીમ છે – “આવો, બનાવીએ.. શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”. સમાજને આ રીતે શિક્ષણના યજ્ઞ માટે આગળ આવતો જોઈને શાળા પ્રવેશોત્સવ સાચે જ સમાજોત્સવ બન્યો હોવાની સંતોષની લાગણી થાય છે.
શાળાની વિદ્યાર્થીનીઓ ધોરણ -7 ની શેખ જેનબે સ્વાસ્થ્ય અને પર્યાવરણ તેમજ ધોરણ-6 ની વિદ્યાર્થીની બાવનકા ખુશ્બુએ બેટી બચાવો ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.જેમને શાળાના શિક્ષક શોભનાબેને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
શિક્ષણ સમિતિના સદસ્ય અને શાળાના પ્રભારી શ્રી સંજયભાઈ બારૈયાએ શાળામાં મળતી સુવિધાઓ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શાળાઓને મળતી ભૌતિક સુવિધાઓ અને વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી.વાલીઓને બાળકોના અભ્યાસ માટે સતત જાગૃત રહેવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડેપ્યુટી કમિશનર શ્રી જયકુમાર રાવલે વાલીઓને શાળા અને શિક્ષકોના સતત સંપર્કમા રહી બાળકોના અભ્યાસ માટે જાગૃત રહેવા તેમજ તેમના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવા માટે સહકાર આપવા માટે વાત કરી હતી સાથે મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વિકાસ માટે કરવામાં આવેલ વિવિધ કામોની વાત કરી હતી.આપણી સંસ્કૃતિમાં 'વિદ્યારંભ' ખૂબ મહત્ત્વનો સંસ્કાર છે. શૈક્ષણિક જીવનના પ્રથમ પગથિયાં પર ડગ માંડતા ભૂલકાઓ માટે આજનો દિવસ ખૂબ અગત્યનો છે. મહેમાનશ્રીઓએ આજે શાળા પ્રવેશ મેળવનાર સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ અને શુભકામના પાઠવી હતી.
શાળાની એસ.એસી ની મીટીંગ કરવામાં આવી જેમા શાળાની જરૂરિયાત તેમજ બાળકોના અભ્યાસ બાબત સંવાદ કરાવામા આવ્યો.અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં વાલીઓ, આંગણવાડીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન કટુડિયાના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ પઠાણ રાબીયા તેમજ પઠાણ તનવીર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ રામજીભાઈ ભાલીયા એ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.