07/01/2026
અષ્ટાંગ યોગના પ્રણેતા પતંજલિનું યોગસૂત્ર યોગદર્શનનો આધારભૂત ગ્રંથ ગણાય છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં 195 સૂત્રો આપ્યા તેમાં તેમણે યોગના આઠ અંગો જણાવ્યા છે . આ આઠ અંગો દ્વારા ક્રમશઃ સ્વનું એકીકરણ થાય છે . અષ્ટાંગ યોગના એક - એક અંગને સમજીએ અને તેના દ્વારા સ્વનો વિકાસ અને આત્માનું પરમાત્મા સાથે એકીકરણ કેવી રીતે થાય છે તે સમજવા પ્રયત્ન કરીએ .
અષ્ટાંગ યોગના આ આઠ સોપાનો છે.
1 - યમ ,
2 - નિયમ ,
3 - આસન ,
4 - પ્રાણાયામ ,
5 - પ્રત્યાહાર ,
6 - ધારણા ,
7 - ધ્યાન અને
8 - સમાધિ .
1 - યમ :
યોગનું પ્રથમ સોપાન છે . “ યમ ” એટલે વર્તનમાં નિષેધક બાબતોને સામેલ ન કરવી . અહિંસા , સત્ય , અસ્તેય , બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ યમ કહેવાય છે . આ પાંચ વ્રત છે જેના પાલનથી વ્યક્તિગત સ્વ કે સાર્વત્રિક સ્વનું એકીકરણ કરી શકાય છે . આ પાંચ નિષેધાત્મક સદ્ગુણ છે .
અહિંસા એટલે મન , વચન અને કર્મ દ્વારા કોઈપણ પ્રાણીને હિંસા કે કષ્ટ ન પહોંચાડવું . બધાં પ્રત્યે દયા , કરુણા અને સદ્ભાવના રાખવી . હિંસા બધા જ પ્રકારની આપત્તિનું મૂળ છે .
સત્ય એ બીજો યમ છે સત્ય એ જ છે જે બધા માટે હિતકારી હોય . યોગ સ્વાર્થવાદી નથી પરંતુ પરહિતવાદી છે . સત્યને સ્વના મૂલ્ય તરીકે લેવાથી સ્વની સંવાદિતા વધે છે . સુસંવાદી વ્યક્તિત્વ જ સાર્વત્રિક સ્વ બની શકે છે .
ત્રીજો યમ “ અસ્તેય ' છે , જેનો અર્થ છે – બીજાની સંપત્તિ પર અનુચિત અધિકાર ન કરવો કે બીજાની વસ્તુઓ માટે ઈચ્છા પણ ન હોવી ,
ચોથો યમ છે બ્રહ્મચર્ય એટલે કે ઈન્દ્રિયો પર સંયમ અને અંતિમ યમ છે ,
પાંચમો યમ અપરિગ્રહ, જેનો અર્થ થાય છે ઉપભોગની વસ્તુઓનો સંગ્રહ ન કરવો .
અષ્ટાંગ યોગના પહેલા સોપાન યમના પાંચ વ્રતોને જીવનમાં કોઈ વ્યક્તિ ઉતારે તો સમષ્ટિનું કલ્યાણ થઈ શકે . આજે માનવજાત અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે . જેના મૂળમાં આ પાંચ વ્રતોનું પાલન ન કરવું તે છે . વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વની ઉન્નતિ માટે યમનું પાલન કરવું જોઈએ . આ પાંચ વ્રતો દ્વારા મનને શુદ્ધ કરવાથી સ્વની વિકાસયાત્રા શરૂ થઈ શકે છે .
2 - નિયમ :
યોગનું બીજુ અંગ નિયમ છે. શૌચ , સંતોષ , તપ , સ્વાધ્યાય અને ઈશ્વર - પ્રાણધાન આ પાંચ નિયમો છે .
શૌચના બે પ્રકાર છે : બાહ્ય શૌચ અને આંતરિક શૌચ . શરીરને જળ વગેરેથી સાફ કરવું તે બાહ્ય શૌચ અને રાગ , દ્વિષ માયા , અસૂયા વગેરે મલિન વિચારોને મનમાંથી સાફ કરવા તે આંતરિક શૌચ .
સંતોષ એટલે જે મળે છે, જે પ્રાપ્ત થયું તેને વધાવો . સંતોષી નર સદા સુખી તેવી કહેવત આપણા સમાજમાં પ્રચલિત છે, આવો જ અર્થ આ નિયનમો પણ થાય છે.
તપ એટલે ગમે તેટલી તક્લીફોમાં મન રિથર રાખી નિત્ય સાધના રત રહેવું . શરીરને સહેજ કષ્ટ આપી તપાવવું, ઉદાહરણ તરીકે આપણે જ ઉપવાસ કરીએ છીએ તે તપસનો ભાગ કહી શકાય
સ્વાધ્યાય - સ્વનું અધ્યયન એટલે સ્વાધ્યાય. વ્યક્તિ માટે આ નિયમ ખુબ જરૂરી છે. આત્મચિંતન અને શાસ્ત્રોના અધ્યયન માટે વ્યક્તિએ દરરોજ થોડો સમય કાઢાવો જ જોઈએ
અને છેલ્લો નિયમ ઈશ્વર - પ્રાણધાન એટલે કે પરમ - ગુરુ ઈશ્વરને બધું જ કર્મ અર્પણ કરવું અને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારવી.
3 - આસન :
અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ આસન છે . આની મદદથી શરીર સ્વસ્થ બને છે અને તંત્રિકા - તંત્ર સ્વસ્થ રહે છે . શરીર પર નિયંત્રણ રહેવાથી વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વનું એકીકરણ થઈ શકે છે
4 - પ્રાણાયામ :
શ્વાસોચ્છવાસની સ્વાભાવિક ક્રિયાનું નિયંત્રણ અને તેમાં નિયમિત ક્રમ લાવવો એ અષ્ટાંગ યોગનું ચોથું અંગ છે , જેને પ્રાણાયામ કહીએ છીએ તેના ત્રણ ભાગ છે . પૂરક , કુમ્ભક અને રેચક
પ્રાણશક્તિઓ શારીરિક ક્રિયાઓનું સંચાલન કરે છે . પ્રાણના નિયંત્રણથી મનનું નિયંત્રણ થાય છે . સ્વના વિકાર પ્રાણાયામથી દૂર થાય છે સ્વના ઉત્કર્ષ માટે વિવેકબુદ્ધિ જરૂરી છે જે પ્રાણાયામ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે . મનના વિકારો દૂર કરવા અને જ્ઞાનનો ઉદય કરવા પ્રાણાયામ સહાયક છે . સ્વના એકીકરણ માટે પ્રાણાયામનો ગુરુના માર્ગદર્શન હેઠળનો અભ્યાસ વધુ લાભદાયી છે .
5 - પ્રત્યાહાર :
અષ્ટાંગ યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે . બાહ્ય વિષયોમાંથી મુક્ત થઈ અંતર્મુખી બનવાની અવસ્થા એટલે પ્રત્યાહાર બાહ્ય ઇન્દ્રિયો પરનો સંયમ મનના સંયમ પર આધારિત છે . અવિરત અભ્યાસ , સંકલ્પ અને ઈન્દ્રિય નિગ્રહ દ્વારા પ્રત્યાહાર સિદ્ધ કરી શકાય છે . સ્વને ઓળખવા માટે અને આત્મા ની ઉન્નતિ માટે મનનો સંયમ જરૂરી છે , જે પ્રત્યાહાર દ્વારા સિદ્ધ થઈ શકે છે .
6 - ધારણા :
અષ્ટાંગ યોગનું છઠું અંગ ધારણા છે . તેનો અર્થ છે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું . ચિત્ત , નાભિ , હૃદય , ભૂકુટિ - મધ્ય કે શરીરના અન્ય અંગ પર કેન્દ્રિત થવું કે દેવી - દેવતાની પ્રતિમા કે દીવાની જ્યોત પર કેન્દ્રિત કરી શકીએ . ધારણાથી ચિત્ત પર નિયંત્રણ લાવી શકાય છે ધારણાથી ધ્યાન કરવાની શક્તિ વધે છે . સ્વના એકીકરણ માટે ચિત્તને અનેક બાજુએથી ભટકતું અટકાવવા માટે ધ્યાન કેન્દ્રિકરણ જરૂરી છે , તેના માટે ધારણા જરૂરી છે .
7 - ધ્યાન :
અષ્ટાંગ યોગનું સાતમું અંગ ધ્યાન છે બધી જ વસ્તુઓ પરથી કોઈ એક જ વસ્તુ પર એકાગ્ર થવાથી ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય છે . અનેક વિકારોમાં ભટકતી ચિત્તવૃત્તિને એક જ જગ્યાએ એકાગ્ર કરવામાં સાધકને સફળતા મળે ત્યારે તે ધ્યાન અવસ્થામાં આવે છે . ધ્યાન કરવાથી ચિત્ત નિર્વિકાર બને છે પરિણામે વ્યક્તિગત સ્વ પોતાના ચંચળ મનના વિકારો પર લગામ નાખી શકે છે . વ્યક્તિગત સ્વ વૈશ્વિક સ્વ બને છે . ચિત્તવૃત્તિઓને અંકુશમાં રાખવાથી વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થાય છે , નીરક્ષરે વિવેક આવે છે . ધ્યાનમાં અંતઃસ્કુરણા દ્વારા ડહાપણ પણ પ્રાપ્ત થાય છે .
8 - સમાધિ :
અષ્ટાંગ યોગનું આઠમું અને અંતિમ અંગ સમાધિ છે . સમાધિ અવસ્થામાં કેવળ ધ્યેય વસ્તુની જ ચેતના રહે છે . સમાધિમાં આત્મા અને ધ્યાનની ક્રિયાનો જાણે લોપ થઈ જાય છે કેવળ ધ્યેય વસ્તુનો જ પ્રકાશ રહે છે જેને આપણે પરમ તત્ત્વ કહીએ છીએ . અહીં અદ્વૈતની અનુભૂતિ થાય છે . ધ્યાતા , ધ્યાન અને ધ્યેયનું ઐક્ય સધાતા મનની શુન્ય અવસ્થામાં પરમ તત્ત્વની ઝાંખી થાય છે . સમાધિમાં ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ થઈ જતાં કશું જુદાપણું રહેતું નથી . અને વ્યક્તિને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
- અજ્ઞાત