24/03/2024
રંગપર્વ નિમિત્તે રંગછાંટણાં :
- - - - - - - - - - - - - - - - - - -
આર.પી.જોષી :
-----------------------------------
उत्सवप्रियाः खलु जनाः (માણસો ખરેખર ઉત્સવપ્રિય હોય છે) એવું હજારો વર્ષો અગાઉ કવિકુલગુરુ કાલીદાસે કરેલું નિરીક્ષણ આજે પણ એટલું જ પ્રસ્તુત અને યથાર્થ જણાય છે.ઉત્સવો, તહેવારો, પર્વો આપણી ભારતીય સંસ્કૃતિના વાહક છે, સંરક્ષક છે.
હોળી - ધુળેટીનું પર્વ એ ઋતુરાજ વસંતની મહેકનો અને માદકતાનો સંદેશ છે, તો અસત્ય ( હોલિકા) ઉપર સત્ય ( પ્રહલાદ)ના વિજયનો પણ સંદેશ છે.
હોળીનો તહેવાર ભારતભરનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં રાધા અને કૃષ્ણની વિશુદ્ધ પ્રેમાભિવ્યક્તિનાં પ્રતીક રૂપે વિશિષ્ટ ઢબે ઉજવાય છે. ગોકુળ /મથુરા /વૃંદાવન /જતીપુરા /નંદગાંવ અને રાધાનાં વતન બરસાના એ પાવનભૂમિ 'વ્રજભૂમિ' તરીકે સુખ્યાત છે, જ્યાં આ 'હોલી ઉત્સવ' એ 'રંગોત્સવ' તરીકે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાય છે.
તો આવો ! આપણે પણ આ 'રંગપર્વ' નિમિત્તે શબ્દનાં 'રંગછાંટણાં' કરીને, રળિયામણા 'રંગ'ના રંગે રંગાઈને રળિયાત થઈએ.
' રંગ' શબ્દનું કુળ અને મૂળ તપાસીએ તો 'રંગ' શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત ધાતુ ( ક્રિયાપદ) रंज् માંથી થયેલ છે. रंज् એટલે રંગવું, પ્રેમમાં પડવું, રાજી થવું, મનાવી લેવું ઇત્યાદિ. रंजन એટલે રંગવું તે, ખુશ થવું, ખુશ કરવું તે ( मनोरंजन = મનનું રંજન). रंजक એટલે રંગ કરનાર, ખુશ કરનાર. रंजित એટલે રંગેલું, ખુશ થયેલું ( रक्तरंजित = રક્તથી રંગાયેલ)
હવે ગુજરાતી ભાષા તરફ પરત થઈએ તો ' રંગ' શબ્દની વિવિધ અર્થચ્છાયાઓ છે. ' રંગ' એટલે લાલ, પીળો વગેરે વર્ણ ( colour). ઉપરાંત નાટકનું સ્ટેજ /પ્રેક્ષકગણ /અખાડો /રણભૂમિ /સ્વરોનું અનુનાસિક ઉચ્ચારણ /નાચવું, કૂદવું, ગાવું /જાહોજલાલી /ઢંગ /ઢબ /આનંદોલ્લાસ /કસુંબો /સાબ્બાશી /ધન્યવાદ ઇત્યાદિ અર્થો પણ 'રંગ' શબ્દમાં અભિપ્રેત છે.
' રંગ ' શબ્દ ઉપરથી કેટકેટલા અવનવા શબ્દો ઉતરી આવ્યા છે તે પણ નિહાળવા જેવું છે. થોડા નમુના જુઓ :
રંગમંચ /રંગમંડપ /રંગકર્મી /રંગદેવતા/રંગરસિયાં /રંગઅંધતા /રંગદર્શિતા /રંગદાર /રંગારો /રંગાટ /રંગાટી /રંગરેજ /રંગત /રંગીન /રંગીલું /રાગરંગ /રંગરાગ /રંગરેલી /રંગિત /રંગોળી /રંગરોગાન /રંગરૂપ /રંગસુત્ર /રંગદ્વેષ /રંગભેદ /રંગઢંગ /રંગી /રંગીચંગી /રંગે ચંગે /રંગી ભંગી /રંગધાડું ( લૂંટારુઓનું ટોળું) / રંગની ચૂડી (રંગીન ચૂડી પહેરેલ વહુ/ભાભી ) / રંગેલી ( પીઠી ચોળેલી કન્યા) ઇત્યાદિ.
ગુજરાતી ભાષામાં કેટલાક રૂઢિપ્રયોગ પણ ' રંગદાર' છે. જુઓ :
રંગ બદલવો /રંગ રાખવો /રંગમાં હોવું /રંગી નાખવું /રંગમાં ભંગ પડવો ઇત્યાદિ.
ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદિત શૌર્યકથાઓનાં પુસ્તકનું શીર્ષક છે :
રંગ છે બારોટ ! :
તો વળી લોકવાર્તાકાર બાપલભાઈ ગઢવી સંપાદિત વીરકથાઓનાં પુસ્તકનું શીર્ષક છે : કોને રંગ દેવા ? :
આ 'રંગ'ની રંગત અને સંગત સદીઓથી કવિઓને પ્રિય રહી છે. આવો, આપણે થોડો વિહાર કરીએ કેટલાક કવિઓની 'પચરંગી' પંક્તિઓનાં સંગીન અને રંગીન 'રંગ ઉપવન'માં :
આ 'હોરી' ઉત્સવમાં વ્રજ ( बिरज ) નો પ્રત્યેક બાંકો છોરો 'કાન્હો 'બનીને અને પ્રત્યેક છોરી ' રાધા' બનીને હર્ષોલ્લાસપૂર્વક ગાય છે होरी :
હોરી ખેલે સહુ બ્રિજ નારી,
હોરી રે રસિયા, બરજોરી રે રસિયા,
સુંદર બ્રિન્દાવન, આઈ વસંતઋતુ,
શ્યામ સોહે रंग ખેલત, સખીઓ કે સંગ,
આજ બિરજ મેં હોરી રે રસિયા
મધ્યકાલીન કૃષ્ણભક્ત કવિ દયારામની નાયિકા તો શ્યામથી એટલી બધી 'ત્રસ્ત' છે કે ઠામુકા શ્યામ રંગનો જ બહિષ્કાર કરે છે અને કહે છે :
શ્યામ રંગ સમીપે ન જાવું,
મ્હારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે સહુ એક સરખું,
સર્વમાં કપટ હશે આવું ?
મ્હારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
આપણાં લોકસાહિત્યમાંય 'રંગ'ની છટાને સુપેરે વણી લેવાયેલ છે. એક દુહો જુઓ :
મન મેલાં, તન ઉજળાં, બગલાં કપટી અંગ,
એથી તો કાગા ભલા, દોનો એક જ રંગ.
કવિ 'કાગ' નો પણ એક દુહો છે :
એક રંગા ને ઉજળા, ભીતર બીજી ન ભાત,
એને વા'લી - દવલી વાત, કે'જે દિલની કાગડા.
અન્ય એક રચનામાં કાગબાપુ આ 'દો રંગી દુનિયા' વિશે આપણને ટપારે છે :
આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં,
દુનિયા તણા દો- રંગના ધોખા કદી ધરશો નહીં.
સંતકવિ દાસીજીવણ એક રચનામાં આ 'દો રંગા' વિશે ચેતવે છે :
દો રંગા ભેળા રે નવ બેસીએ હો જી,
એમાં પત તો પોતાની જાય રે,
ઘડીમાં ચડે ને રંગ ઘડીમાં ઊતરે જી,
ઘડીમાં વૈરાગી બની જાય રે,
દો રંગા ભેળા રે નવ બેસીએ જી.
ભક્ત કવિ વલ્લભ ભટ્ટ એક ગરબામાં 'રંગતાળી' આપતાં કહે છે :
રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગમાં રંગતાળી.
માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી,
ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યું રે રંગમાં રંગતાળી.
તો વળી બાબા આનંદ એમની એક સુખ્યાત રચનામાં ભક્તિના રંગે રંગાઈ જવાની શીખ આપે છે :
રંગાઈ જાને રંગમાં,
તું રંગાઈ જાને રંગમાં.
પ્રભુવીર તણા રંગમાં,
ગુરુજી તણા સતસંગમાં,
તું રંગાઈ જાને રંગમાં.
રાષ્ટ્રીયતાના કસુંબલ રંગને ક્યાં ક્યાંથી પીધો છે એની વાત કરતાં મેઘાણીજી એમની કાળજયી કૃતિમાં કહે છે :
જનનીનાં હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ.
'રંગ' ની વાત નીકળે એટલે 'સુંદરમ્'ની પેલી લોકજીભે રમતી અને ગમતી ગીતપંક્તિ યાદ ન આવે તો નવાઈ !
હાં રે અમે ગ્યા'તાં હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે, અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે ઉડ્યાં હો મોરલાને ગાણે,
કે વાયરાનાં વહાણે, આશાનાં સુકાને,
કે રંગ રંગ વાદળિયાં.
લોકગીતની કક્ષાએ પહોંચીને લોકહૈયે રંગ જમાવતી કવિશ્રી ઈંદુલાલ ગાંધીની રમ્ય રચના પણ શે ભૂલાય ?
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો.
તો વળી 'ગુજરાતને ગાતું કરનાર' અવિનાશ વ્યાસ મેંદીના રંગને મહેકાવતી રળિયામણી રચના આપે છે :
પાંદડું લીલું ને રંગ રાતો,
હે જી મારી મેંદીનો રંગ મદમાતો.
ભૂલી રે પડી હું રંગના બજારમાં,
લાગ્યો મને રંગ કેરો છાંટો,
પાંદડું લીલું ને રંગ રાતો.
ઘણી વખત પ્રેમનો રંગ જેને લાગે એની જાણ અન્યોને હોય છે પણ એને પોતાને હોતી નથી. આ સંવેદનને વ્યક્ત કરતાં મનુભાઈ ત્રિવેદી 'ગાફિલ' કહે છે :
ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે ?
મળે છે તે સહુ કહે છે : મજાનો રંગ લાગ્યો છે.
ભલે ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું માનો ન માનો, રંગ લાગ્યો છે.
પિયુ અન્ય કોઇના રંગે રંગાઈ જાય ત્યારે નીનુ મુઝુમદારની કાવ્યનાયિકા આ રીતે પોતાની વેદના વ્યક્ત કરે :
મેં તો રંગ્યો'તો એને દલડાની સંગ,
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ.
રંગની ઉપરે રંગ ચડે તે મૂળનો રંગ ધોળો હો,
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો.
કોઈ ભીલડીએ એને ભરમાવી એનાં તપનો કીધો ભંગ,
સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ.
પ્રિયતમાની ઓઢણીના રંગ સિવાય તમામ રંગ ફિક્કા લાગે એવું સંવેદે છે સૈફ પાલનપુરી :
બીજા તે રંગ બધા મનના તરંગ,
તારી ઓઢણીનો રંગ એ જ સાચો.
હોય લીલો,જાંબુડી કે કેસરી,ગુલાબી
મારે તો મન એ જ પાક્કો !
સંયોગમાંય વિયોગના રંગની આશંકા વ્યક્ત કરે છે હરીન્દ્ર દવે :
આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ તબાહીનો રંગ છે.
ક્યારેક ભગવો રંગ ઉતારી નાખવાની વેળાય આવે છે. દિલીપ વ્યાસ લખે છે :
વધારે નથી કોઈ શણગાર સજવા,
હવે ઊતરી જાવ હે રંગ ભગવા !
તો વળી બાપુભાઈ ગઢવી આ ભગવા સિવાય કોઈ રંગ માફક નહીં આવ્યાની વાત કરે છે :
કોઈ રંગ જામ્યો નહીં જાત સાથે,
નથી કાંઈ અમસ્તી અમે રાખ ચોળી
મેંદીનો રંગ કોઈનાં અંતરને રંગી દે પછી કાળક્રમે એ રંગ ઉડી જવાનો ખટકો જીવનભર રહે છે. 'મરીઝ'નો શેર જુઓ :
એ જ હાથોમાં છે મારી જિંદગી,
સાચવી ન શક્યા જે મેંદીનો રંગ.
પ્રકૃતિએ પતંગિયામાં વિશિષ્ટ રંગો પૂર્યા છે. આંખને સકળ સૃષ્ટિ રંગસભર લાગે ત્યારે એવુ લાગે કે જાણે પતંગિયા આંખોમાં આવી વસ્યા છે. આવું રૂડું કલ્પન સર્જે છે મનોજ ખંડેરિયા :
એથી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું,
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું.
મોરપિચ્છના રંગો ટહુકા માં રૂપાંતરિત થાય અને એ આંખમાંથી નીતરતા હોય ત્યારે એનું તાત્ત્વિક વિશ્લેષણ શક્ય નથી. આવું નવતાપૂર્ણ સંવેદન પ્રગટાવે છે સંજુ વાળા :
હું મોરપિચ્છનું કરું કેવી રીતે પૃથક્કરણ ?
પ્રત્યેક રંગ આંખથી ટહુકા બનીને નીતરે.
તો વળી અન્ય એક શેરમાં પણ સંજુ વાળાની તાજગીપૂર્ણ,રમણીય રંગાભિવ્યક્તિ પણ માણવા જેવી છે:
ના કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય,ભીનેવાન ક્યાંથી લાવીએ ?
માણસ ગમે તેટલી ગતિ, પ્રગતિ કરે પણ અંતિમ હાસ્ય તો કાળદેવતાનું હોય છે. મનુષ્યમાત્રની નિયતિ મૃત્યુ છે. ઓચિંતા ટપકતાં મૃત્યુનો ' રંગ ' કેવો વિષાદસભર હોય છે એની વાત કરતાં મનહરલાલ ચોક્સી કહે છે :
રડી પડ્યાં જુઓ, કુમકુમ ને હાથની મેંદી,
અમારું મોત, કહો રંગદાર છે કે નહીં ?
જીવતર આખું રંગવૈવિધ્યથી છલકાતું હોવાં છતાંય અંતે તો મૃત્યુની ચાદરનો 'શ્વેત' રંગ એ જ ખરો અને વાસ્તવિક 'રંગ' છે એ સનાતન સત્યને ઉજાગર કરતો 'નૂર' પોરબંદરીનો શેર માણીને વિરમીએ :
'નૂર' કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
--- नमस्कार રંગપૂર્વક !
-- R P Joshi : Rajkot