05/01/2026
🫴 ગુજરાતની ગૌરવવંતી ભૂમિ પર કલ્યાણક ભૂમિ તરીકેનું શ્રેય મળે છે એકમાત્ર ગિરનાર તીર્થને. જેના રૈવતગિરિ, ઉજજ્યંતગિરિ આદિ નામો પણ પ્રસિદ્ધ છે. આ કલ્યાણક ભૂમિ સ્વરૂપ ગિરનારતીર્થ પર ગઈ ચોવીસીના શ્રી નમીશ્વર ભગવાન, શ્રી અનિલ ભગવાન, શ્રી યશોધર ભગવાન, શ્રી કૃતાર્થ ભગવાન, શ્રી જિનેશ્વર ભગવાન, શ્રી શુદ્ધમતિ ભગવાન, શ્રી શિવંકર ભગવાન અને શ્રી સ્પંદન ભગવાન — એમ કુલ આઠ તીર્થંકરોનાં દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક થયા હતા. આ ચોવીશીનાં શ્રી નેમિનાથ ભગવાનનાં પણ દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણ થયા છે. તથા આવતી ચોવીસીનાં શ્રી અનંતવીર્ય ભગવાન અને શ્રી ભદ્દકૃત ભગવાનનાં પણ દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણ થશે. વળી આવતી ચોવીસીનાં શેષ ૨૨ ભગવાનનાં નિર્વાણ કલ્યાણક પણ થશે. (અર્થાત્ આવતી ચોવીસીનાં ચોવીસેય તીર્થંકરોની નિર્વાણ કલ્યાણ ભૂમિ આ ગિરનારતીર્થ છે.) એટલે ગઈ ચોવીસીનાં આઠ તીર્થંકરનાં ૩-૩ કલ્યાણક મળી ૨૪ કલ્યાણક, આ ચોવીસીનાં શ્રી નેમિપ્રભુના ૩ કલ્યાણક તથા આવતી ચોવીસીના બે પ્રભુના ૩-૩ કલ્યાણક અને શેષ ૨૨ પ્રભુનાં ૧-૧ કલ્યાણક મળી ૨૮ કલ્યાણક. ત્રણે (૨૪+૩+૨૮) મળી ૫૫ કલ્યાણકને ધારણ કરનારું આ મહાન તીર્થ છે.
👉 એમ કહેવાય છે કે શત્રુંજય મહાતીર્થની જેમ ગિરનાર પર્વત પણ છ આરામાં વધ-ઘટ થયા કરે છે. પહેલા આરામાં આ પર્વત ૨૬ (છવ્વીસ) યોજનનો હતો. બીજા આરામાં ૨૦ (વીસ) યોજન, ત્રીજા આરામાં ૧૬ (સોળ) યોજન, ચોથા આરામાં ૧૦ (દસ) યોજનો હતો. હમણાં પાંચમા આરામાં ૨ (બે) યોજનાનો છે અને છઠ્ઠા આરામાં ૧૦૦ (સો) ધનુષ્યનો થશે.
આભાર - શાંતિ સૌરભ
અંક પ્રકાશન તા. ૦૧-૦૨-૨૦૦૪